દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધી ધરણા પર બેઠા, શું છે કારણ – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ડીસીપી સાથે મુલાકાત કર્યા પછી હવે પણ થાણાના બહાર ધરણા પર બેઠા છે. આ દરમિયાન કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચી ગયાં છે.

રાહુલ ગાંધી સાથે સાહિલ લોચવ પણ હાજર છે. આરોપ છે કે ગયા મહિને જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનો દરમિયાન તેમને પૅલેટ ગનથી ઈજા પહોંચી હતી.

રાહુલ ગાંધીની માંગ છે કે લોચવ દ્વારા આપવામાં આવેલી લેખિત પોલીસ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવે.

રાહુલ ગાંધી ઉપરાંત કૉંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યા છે. દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર કૉંગ્રેસના કાર્યકરો નારા લગાવી રહ્યા છે.

કૉંગ્રેસના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે જણાવ્યું, "રાહુલ ગાંધી ધરણા પર બેઠા છે."

આ પહેલાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેઓ જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નાં વિરોધપ્રદર્શનો દરમિયાન પૅલેટ ગનના ઉપયોગને લઈને ચાલી રહેલી તપાસની જાણકારી મેળવવા માટે ડીસીપી કચેરી ગયા હતા.

રાહુલ ગાંધી એ જાણવા માગતા હતા કે તપાસ હાલ ક્યાં પહોંચી છે અને પોલીસ તરફથી શું કાર્યવાહી થઈ છે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધી સાથે પૅલેટ ગનથી પીડિત સાહિલ લોચવ પણ છે. આરોપ છે કે સાહિલ 20 જુલાઈના રોજ પૅલેટ ગનથી જખ્મી થયા હતા.

રાહુલની માગ છે કે સાહિલ લોચવ તરફથી આપવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ થાય. આ માંગને લઈને તેઓ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

રાહુલે આરોપ લગાવ્યો કે હજુ એફઆઈઆર જ નોંધાઈ નથી. તેઓ સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે તેમની ફરિયાદ પર પોલીસ એફઆઈઆર નોંધે.

કૉંગ્રેસે ઍક્સ પર લખ્યું, "અમિત શાહે દેશનાં બાળકો પર પૅલેટ ગન ચલાવી, જેમાં સાહિલને પૅલેટ લાગવાને કારણે આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. સાહિલ અને તેમનાં માતા સતત પોલીસ પાસે આવીને એફઆઈઆર દાખલ કરવાની માગ કરી રહ્યા હતા, પોલીસ તેને અવગણતી હતી. તેથી આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સાહિલ અને તેમનાં માતા પોલીસ અધિકારીને મળ્યાં અને તપાસની જાણકારી માગી."

કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે સાહિલની ફરિયાદ પર ઇન્વેસ્ટિગેશન નંબર નહોતો આપવામાં આવ્યો, જેથી કે એફઆઈઆર દાખલ થઈ શકે.

કૉક્રોચ જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાજસ્થાનમાં થયેલી મારપીટ અંગે અભિજીત દીપકેએ શું કહ્યું?

રાજસ્થાનના જયપુર ગ્રામીણ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા સરકારી શાળાનું નિરીક્ષણ કરવા ગયેલા કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રવક્તા આશુતોષ રાંકા અને અન્ય કાર્યકરો સાથે કેટલાક ગ્રામજનો દ્વારા મારપીટ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ ઍક્સ પર પોસ્ટ કરીને આરોપ મૂક્યો કે આશુતોષ રાંકા પર ભાજપ સાથે સંકળાયેલા લોકોએ હુમલો કર્યો હતો.

રાજસ્થાન પોલીસને ટૅગ કરીને તેમણે લખ્યું, "એવું લાગે છે કે જ્યારે સરકારી શાળાઓની મુલાકાત લેતા સીજેપીના સ્વયંસેવકો પર ગુંડાઓ હુમલો કરે છે ત્યારે રાજસ્થાન પોલીસ માત્ર મૂકદર્શક બની રહે છે. ભેંસોના તબેલામાં ચાલી રહેલી શાળાઓથી તેમને કોઈ સમસ્યા નથી, પરંતુ સીજેપીના સ્વયંસેવકો તે શાળાઓની મુલાકાત લે છે તે તેમને પસંદ નથી. આખરે તેઓ કઈ બાબતનું સંરક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?"

તે જ સમયે, આશુતોષ રાંકાએ પણ ઍક્સ પર પોસ્ટ કરીને મીડિયા તથા લોકો પાસે ઘટનાને લઈને ગામલોકોને દોષ ન આપવા અપીલ કરી.

તેમણે લખ્યું, "મીડિયાને મારી અપીલ છે કે આજે બનેલી ઘટના માટે ગામલોકોને જવાબદાર ન ઠેરવવામાં આવે. હિંસા ભડકાવવા માટે બહારથી લોકોને મોકલવામાં આવ્યા હતા. ગામલોકોએ જ અમને શાળાનું નિરીક્ષણ કરવા આવવા વિનંતી કરી હતી. મને જાણ કરવામાં આવી છે કે સ્થાનિક ભાજપના એક નગરસેવક કેટલાક ગુંડાઓ વચ્ચે પૈસા વહેંચતા જોવા મળ્યા હતા."

મેડિકલ તપાસ બાદ ઇમરાન ખાનને ફરી અડિયાલા જેલ મોકલી દેવાયા

પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મેડિકલ તપાસ બાદ હૉસ્પિટલથી પરત અડિયાલા જેલ મોકલી દેવામાં આવ્યા છે.

ઍક્સ પર એક પોસ્ટમાં અતાઉલ્લાહ તરારે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત 20 અને 21 ઑગસ્ટની રાત્રે ઇમરાન ખાનને સુરક્ષા સાથે હૉસ્પિટલ લઈ જવાયા હતા. તેમણે જણાવ્યું કે આંખોના ડૉક્ટર, હ્રદયરોગના વિશેષજ્ઞ અને ફિઝિશિયન સહિત વિશેષજ્ઞ ડૉક્ટરોની ટીમે ઇમરાન ખાનની વિસ્તૃત મેડિકલ તપાસ અને તેમને ચિકિત્સકીય રૂપે સ્વસ્થ ગણાવ્યા છે.

અતાઉલ્લાહ તરારના જણાવ્યા પ્રમાણે, ઇમરાન ખાનનાં બહેન ઉજમા ખાન તપાસ અને ઇલાજની આખી પ્રક્રિયા દરમિયાન તેમની સાથે હતાં.

તેમણે કહ્યું કે મેડિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 21 ઑગસ્ટની સવારે લગભગ પાંચ કલાકે ઇમરાન ખાનને પરત અડિયાલા જેલ મોકલી દેવામાં આવ્યા.

ઇઝરાયલનો વેસ્ટ બૅન્ક સેટલમેન્ટ પ્રોજેક્ટ શું છે, જેનો પર બ્રિટન સહિત પાંચ દેશોએ વિરોધ કર્યો

ઇઝરાયેલે કબજા હેઠળના વેસ્ટ બૅન્કના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં લગભગ 1200 નવાં સેટલમેન્ટ ઘર બનાવવા માટે ટેન્ડર બહાર પાડવાની યોજના બનાવી છે.

આ નિર્ણયની અમેરિકાના કેટલાક મુખ્ય સાથી દેશો દ્વારા પણ આકરી ટીકા કરવામાં આવી છે.

બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને કૅનેડાએ એક સંયુક્ત નિવેદનમાં આ નિર્ણયને "અસ્વીકાર્ય" ગણાવ્યો છે અને ઇઝરાયલને તાત્કાલિક તેની યોજનાઓ પાછી ખેંચવા અપીલ કરી છે.

આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તમામ ઇઝરાયલી સેટલમેન્ટને ગેરકાયદેસર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દબાણને કારણે, ઇઝરાયલે જેરુસલેમની પૂર્વમાં E1 વિસ્તારમાં બાંધકામ યોજનાઓ ઘણા દાયકાઓ સુધી અટકાવી રાખી હતી.

ઘણા દેશો અને પેલેસ્ટેનિયનોનું કહેવું છે કે જો અહીં બાંધકામ થશે, તો 'ટુ-નૅશન સૉલ્યૂશન'ની આશાઓને મોટો ઝટકો લાગશે.

તેમનું માનવું છે કે આનાથી વેસ્ટ બૅન્ક અસરકારક રીતે બે ભાગમાં વહેંચાઈ જશે અને પૂર્વ જેરૂસલેમ અલગ પડી જશે.

યુરોપીયન દેશો અને કૅનેડાએ ગુરુવારે બહાર પાડેલા પોતાના નિવેદનમાં કહ્યું, "વેસ્ટ બૅન્કમાં હાલમાં ભારે અસ્થિરતા છે. સામાન્ય લોકો વિરુદ્ધ ઇઝરાયેલીઓની હિંસા ઊંચા સ્તરે છે અને પેલેસ્ટિની અર્થતંત્ર પર પણ ગંભીર નિયંત્રણો છે. આવા સમયે આ નિર્ણય વધુ ચિંતાજનક છે."

ડોનાલ્ડ ટ્રમ્પ: જો જરૂર પડશે તો હું ઈરાન પર 100 વાર વધુ હુમલો કરીશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો જરૂર પડશે તો તેઓ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા રોકવા માટે 100 વધુ વખત હુમલો કરવામાં અચકાશે નહીં.

એક રેડિયો ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેમણે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી ન કરી હોત તો આજે ઇઝરાયલ અને સમગ્ર મધ્ય પૂર્વ બરબાદ થઈ ગયું હોત.

ટ્રમ્પે કહ્યું કે તેમણે ઈરાનનાં પરમાણુ મથકો પર હુમલાનો આદેશ એવા સમયે આપ્યો હતો, જ્યારે તેમના જણાવ્યા મુજબ ઈરાન પરમાણુ હથિયાર બનાવવાથી માત્ર બે અઠવાડિયાં જ દૂર હતું.

હોર્મુઝ સામુદ્રધુની અંગે પણ ટ્રમ્પે દાવો કર્યો કે તેનું નિયંત્રણ અમેરિકાના હાથમાં છે. તેમણે ફરી એકવાર કહ્યું કે અમેરિકી કાર્યવાહીએ ઈરાનની મિસાઈલ અને ડ્રૉન ક્ષમતાને ખૂબ નબળી પાડી દીધી છે અને તેનું અર્થતંત્ર ભાંગી પડવાના આરે છે.

ટ્રમ્પે ઈરાન પરમાણુ કરારને (બરાક ઓબામાના સમયના પરમાણુ કરારને) "એક આપત્તિ" ગણાવ્યો.

તેમણે કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા માટે અમેરિકાનું આ કરારમાંથી બહાર નીકળવું જરૂરી હતું.

ટ્રમ્પે ઈરાનનું "મધ્ય-પૂર્વનું દબંગ" ગણાવતા કહ્યું કે ઈરાને કતાર, બહરીન, કુવૈત અને યુએઈ જેવા દેશો પર પણ હુમલો કર્યો, જેઓ અમુક અંશે ઈરાનનું સમર્થન કરી રહ્યા હતા.

તેમણે દાવો કર્યો કે જો અમેરિકાએ સૈન્ય કાર્યવાહી ન કરી હોત, તો ઈરાન આ બધા દેશોને તબાહ કરી દેત અને ત્યારબાદ અમેરિકા પર જમીની હુમલો કરવાની તૈયારી કરત.

અમેરિકાના નાણા મંત્રીએ શું કહ્યું?

અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે અમેરિકી સહયોગી દેશોને ઈરાનના અર્થતંત્રને "તહેસ-નહેસ" કરવાની અમેરિકાની કોશિશમાં સાથ આપવા અપીલ કરી છે.

બેસેન્ટે ન્યૂઝ ચૅનલ સીએનબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે આ શાસનને પાડી દેવાના છીએ. હવે સમય આવી ગયો છે કે આપણા સહયોગીઓ અને દુનિયાના બાકીના દેશો નિર્ણય કરે."

તેમણે આગળ કહ્યું, "કાં તો તમે અમારી સાથે છો અથવા અમારી વિરુદ્ધ."

બેસેન્ટનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ચેતવણી બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે જે પણ દેશ ઈરાનના શાસનને "કોઈપણ પ્રકારની મદદ કે સહારો" આપશે, તેણે "ભયંકર આર્થિક પરિણામો" ભોગવવા પડશે.

ન્યૂ યૉર્ક કૅપિટલ પર હુમલાના કથિત ષડયંત્રના આરોપમાં મહિલાની ધરપકડ

અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ ન્યૂ યૉર્કની એક મહિલાની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તે ઑલ્બનીમાં આવેલી સ્ટેટ કૅપિટલ બિલ્ડિંગને બૉમ્બ વડે ઉડાવવાનો અને ત્યાં હાજર ધારાસભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડી રહી હતી.

અભિયોજકોના જણાવ્યા મુજબ, 35 વર્ષની જૅસિકા બૉવીએ અગાઉ ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ) પ્રત્યે પોતાની વફાદારી વ્યક્ત કરી હતી. તેના પર એવા વિદેશી આતંકવાદી સંગઠનને મદદ કે સંસાધનો પૂરા પાડવાનો આરોપ છે, જેને અમેરિકાએ 'આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કર્યું છે.

અભિયોજકોનું કહેવું છે કે બૉવીએ આ ઇમારતની અનેક વખત રેકી (નિરીક્ષણ) કરી હતી. તેની ધરપકડ વખતે તેની પાસે એક નકલી બૉમ્બ અને એક ખરાબ હાલતમાં રહેલી બંદૂક મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બંને વસ્તુઓ અંડરકવર એજન્ટોએ તેને આપી હતી, કારણ કે તેમને તેના પર અગાઉથી શંકા હતી.

ફોજદારી ફરિયાદ મુજબ, બૉવીએ કથિત રીતે અંડરકવર એજન્ટોને કહ્યું હતું. "હું ઇમારતના શક્ય તેટલા મોટા ભાગને નષ્ટ કરવા અને સેનેટરોને મારવા માગું છું."

હાલમાં એ સ્પષ્ટ નથી કે બૉવી તેના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો સામે અદાલતમાં કાયદેસરની લડત લડશે કે નહીં.

ઑલ્બનીની રહેવાસી બૉવીએ કથિત રીતે એફબીઆઈના બાતમીદારો સાથે પોતાની યોજનાની ચર્ચા કરી હતી. તે અનેક અઠવાડિયા સુધી એવા એજન્ટોના સંપર્કમાં રહી હતી, જેમણે પોતાને આઈએસઆઈએસના સભ્યો તરીકે ઓળખાવ્યા હતા.

અભિયોજકોના જણાવ્યા અનુસાર, બોવીએ ન્યૂયોર્ક સ્ટેટ કેપિટલ બિલ્ડિંગને એટલા માટે નિશાન બનાવ્યું હતું કારણ કે તેને લાગ્યું હતું કે તે વ્હાઇટ હાઉસની સરખામણીમાં વધુ સરળ લક્ષ્ય સાબિત થશે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન